પવન એક્સપ્રેસ
અંબાજી ભાદરવી પૂનમ મેળો-૨૦૨૬: યાત્રાળુઓના આરોગ્ય માટે ફૂડ સેફ્ટી તંત્રની સઘન ચકાસણી
અંબાજીમાં ૭૨ ખાદ્ય પેઢીઓની તપાસ, ૮૩ ખાદ્ય સામગ્રીનું સ્થળ પર જ ટેસ્ટિંગ; ૭ લીટર બળેલું તેલ સહિત અખાદ્ય સામગ્રીનો નાશ








અંબાજી: આગામી ભાદરવી પૂનમ મેળો-૨૦૨૬ દરમિયાન અંબાજી ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ ઉમટી પડવાના હોવાથી યાત્રાળુઓને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર દ્વારા સઘન ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત ફૂડ સેફ્ટી વાન મારફતે અંબાજી ખાતે વિવિધ સ્ટ્રીટ ફૂડ વેન્ડરો તેમજ ખાદ્ય પેઢીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કુલ ૭૨ ખાદ્ય પેઢીઓની ચકાસણી કરવામાં આવી હતી, જ્યારે સ્થળ પર જ કુલ ૮૩ ખાદ્ય સામગ્રીનું ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન અખાદ્ય અને આરોગ્ય માટે હાનિકારક જણાયેલી સામગ્રી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ૭ લીટર બળેલું તેલ, ૩ કિલોગ્રામ પેપર પસ્તી તેમજ સિન્થેટિક કલરની ૨ ડબ્બીઓનો સ્થળ પર જ નાશ કરાવવામાં આવ્યો હતો.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તમામ ખાદ્ય વેપારીઓ તથા સ્ટ્રીટ ફૂડ વેન્ડરોને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જાળવવા, સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરવા અને યાત્રાળુઓને સ્વચ્છ તથા ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી જ પીરસવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
ભાદરવી પૂનમ મેળા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ અંબાજી પહોંચવાના હોવાથી તેમના આરોગ્ય અને સલામતીને પ્રાથમિકતા આપીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા તથા ફૂડ સેફ્ટીના ધોરણોનું પાલન થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.
તંત્રની આ કામગીરીથી મેળા દરમિયાન યાત્રાળુઓને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે તંત્રની સક્રિયતા સ્પષ્ટ જોવા મળી રહી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
