રૂ. 2.50 લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા
પાલનપુર, તા. 10 ઓગસ્ટ:
પવન એક્સપ્રેસ.
પાલનપુરના માન. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા રૂ. 2.50 લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સાદી કેદની સજા તથા ચેકની રકમ વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
કેસની હકીકત મુજબ ફરિયાદી દિલીપભાઈ મેઘરાજભાઈ ચૌધરી, રહે. પાંચડા, તા. વડગામ દ્વારા આરોપી કિરણકુમાર અશોકકુમાર વણઝારા, રહે. ચિત્રોડા, તા. વડગામને રૂ. 2,50,000/- હાથ ઉછીના આપવામાં આવ્યા હતા. ઉછીની રકમની ઉઘરાણી કરતાં આરોપીએ ચેક આપ્યો હતો. જોકે, આ ચેક બેંકમાં રજૂ કરતાં પરત ફર્યો હતો.
ત્યારબાદ ફરિયાદી તરફથી આરોપીને કાયદેસરની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં રકમની ચુકવણી ન થતાં પાલનપુરની માન. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ક્રિમીનલ કેસ નં. 3431/2022 દાખલ કરવામાં આવ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી દિલીપભાઈ મેઘરાજભાઈ ચૌધરીની જુબાની, રજૂ કરવામાં આવેલા પુરાવાઓ તેમજ ફરિયાદી તરફથી વકીલશ્રી બાબુસિંહ બી. સોલંકી દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપી કિરણકુમાર અશોકકુમાર વણઝારાને દોષિત ઠેરવ્યો હતો.
માન. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા તા. 6 ઓગસ્ટ, 2026ના રોજ આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. ઉપરાંત, ચેકની રકમ રૂ. 2,50,000/- 60 દિવસની અંદર વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
કોર્ટના હુકમ મુજબ જો આરોપી 60 દિવસની મુદતમાં વળતરની રકમ ચૂકવશે નહીં તો તેને વધુ 6 માસની સાદી કેદની સજા ભોગવવી પડશે.
રિપોર્ટર: પુષ્કર ગોસ્વામી, વડગામ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
