પેરોલ પર છુટેલા યુવકે 20 ના ટોળા સાથે પાલનપુરમાં રાત્રે હુમલો કરી ચૌધરી યુવાનની જાહેરમાં હત્યા કરી
બિહાર કરતાં પણ ગુજરાતની સ્થિતિ બદતર થઇ રહી છે. પાલનપુરમાં માફિયારાજ આવી ગયું છે

પાલનપુરમાં નાણાંની લેતીદેતીની અદાવતમાં શનિવારે રાત્રે તલવારના ઘા ઝીંકી ગાદલવાડાના યુવકની હત્યાથી ખળભળાટ મચી ગયો છે.હત્યા કરી ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી ફરાર થઈ ગયો હતો.આરોપીઓ નહી પકડવામાં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વિકારવામાં નહી આવેની માગણી કરતાં પોલીસવડાએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની ખાત્રી આપતાં રવિવારે સાંજે 6 કલાક પછી મૃતદેહ સ્વીકાર્યો હતો.
પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર રામદેવ હોટલ નજીક જ્યાં સીસીટીવી કેમેરા નથી લાગેલા તેવા સ્થળે શનિવારે રાત્રે હુમલો કરી ગાદલવાડાના ભરતભાઈ ગણેશભાઈ રાતડા (ચૌધરી)ની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. તેમજ નિતિનકુમાર કેશરભાઇ જુડાળ (ચૌધરી)ને ગંભીર ઇજાઓ થતાં પાલનપુરના આઇ.સી.યુ.માં સારવાર માટે ખસેડાયા હતા. ચૌધરી સમાજના યુવકની નિર્મમ હત્યાથી રવિવારે વહેલી સવારે જ મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલમાં આવી ગયા હતા.
ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળીએ પેરોલ ઉપરઆવીગાદલવાડાના યુવકની હત્યા કરી
ગાદલવાડા ગામના યુવકની નિર્મમ હત્યા કરનારો ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ પાલનપુરની ચાણકયપુરી સોસાયટીમાં યુવતી સાથે કેમ સબંધ રાખે છે. તેમ કહી લાલો માળી સહિત તેના ચાર સાગરિતોએ યુવકને તેના પિતાની નજર સામે પાઇપોથી મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી સહિતના ગુના પાલનપુર શહેર પોલીસ મથકે નોંધાયેલા છે. તેણે પેરોલ ઉપર આવીને આ હત્યા કરી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું હતુ઼.
રાત્રે 8.45 વાગ્યે ગઠામણ પાટિયા પાસેહથિયારો સાથે શખ્સો આવ્યા હતા
પાલનપુરના ગાદલવાડાના રમેશકુમાર નાનજીભાઈ ચૌધરીએ પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું છે કે, તારીખ 20 ડિસેમ્બર 2025ના રોજ રાત્રે આશરે 8:15 વાગ્યે તેઓ ગામના બસ સ્ટેન્ડે હતા. ત્યારે ગામના નીતીનકુમાર કેશરભાઈ જુડાળ (ચૌધરી), ભરતભાઈ ગણેશભાઈ રાતડા (ચૌધરી) અને મયુરકુમાર ધીરજભાઈ પરેચા સફેદ રંગની બ્રેઝા કારમાં આવ્યા હતા.
નીતીનભાઈએ પાલનપુરના ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સાથે પૈસાની લેવડદેવડ બાબતે વાતચીત કરવા જવાનું જણાવ્યું હતુ. જેથી બધા રાત્રે આશરે 8:45 વાગ્યે પાલનપુર ગઠામણ પાટિયા પાસે રામદેવ હોટલ આગળ પહોંચ્યા હતા, જ્યાં એક સફેદ i10 કાર તેમજ મોટરસાયકલો અને એક્ટીવા પર આવેલા આશરે 20-25 લોકો આવ્યા હતા. જેમના હાથમાં તલવારો, લોખંડની પાઇપો અને ધોકાઓ હતા. કોઈ બોલાચાલી કર્યા વગર તેમણે અચાનક નીતીનભાઈ અને ભરતભાઈ પર હુમલો કર્યો હતો. એક આરોપીએ લોખંડની પાઇપથી નીતીનભાઈના ગળા પાસે ઘા કર્યો અને ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળીએ તલવારથી નીતીનભાઈના હાથ તથા ભરતભાઈના માથામાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આરોપીઓએ બંનેને આડેધડ માર માર્યો અને બ્રેઝા કારના કાચ તોડી નુકસાન કર્યું હતુ. બાદમાં આરોપીઓ નાસી ગયા હતા. ઘાયલોને દવાખાનામાં લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન રાત્રે સવા બેએક વાગ્યે ભરતભાઈનું મૃત્યુ થયું હતુ અને નીતીનભાઈ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. પૈસાની અદાવતના કારણે ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી તથા તેના સાગરીતો દ્વારા આ જીવલેણ હુમલો કરાયો છે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
