વડગામના ઐતિહાસિક બ્રહ્માણી માતા મંદિર સંકુલમાં રુદ્રાણી માતાજીને સવા મણ સુખડીનું નૈવેદ્ય
શ્રાવણ સુદ ચૌદસે વર્ષો જૂની પરંપરા મુજબ ‘પાડાની માતર’ની ધાર્મિક વિધિ યોજાઈ; ગ્રામજનોએ સુખડી પ્રસાદનો લાભ લીધો
પવન એક્સપ્રેસ | વડગામ
વડગામ, તા.: તાલુકા મથક વડગામ ખાતે આવેલ ઐતિહાસિક શ્રી બ્રહ્માણી માતા મંદિર સંકુલમાં બિરાજમાન શ્રી રુદ્રાણી માતાજીના મંદિરે વર્ષો જૂની પરંપરા મુજબ સવા મણ સુખડીનું નૈવેદ્ય ધરાવવામાં આવ્યું હતું.
ગુરુવારના રોજ શ્રાવણ સુદ ચૌદસના પવિત્ર દિવસે ગામના ચોરા દ્વારા આ ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. સ્થાનિક પરંપરા મુજબ આ પ્રસંગને ‘પાડાની માતર’ તરીકે ઓળખવામાં આવે છે.
પશુધન અને જીવમાત્રની સુખાકારી માટે વર્ષોથી પરંપરા
અગ્રણી આર.વી. પટેલે જણાવ્યું હતું કે, વર્ષો અગાઉ ગામના પશુધન તેમજ તમામ જીવોની સુખાકારી માટે વડીલો દ્વારા આ પરંપરાની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે રક્ષાબંધન પર્વ પૂર્વે શ્રાવણ સુદ ચૌદસના દિવસે ગામના ખેડાના માતાજી મંદિર સંકુલ ખાતે ગ્રામજનોની ઉપસ્થિતિમાં માતાજીને નૈવેદ્ય ધરાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે શાસ્ત્રી ચંપકભાઈ ભટ્ટ અને જીતેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં જ મોટી કડાઈમાં સવા મણ સુખડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઉપસ્થિત ભક્તો તથા ગ્રામજનોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત
ધાર્મિક અને પરંપરાગત આ કાર્યક્રમમાં ગામના વડીલો, આગેવાનો તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાને ગ્રામજનોએ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે નિભાવી હતી.
તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી | વડગામ
— પવન એક્સપ્રેસ | પાલનપુર
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
