પાલનપુર ડેરી રોડ પર રસ્તા મુદ્દે રહીશોનો ચક્કાજામ
આનંદ બંગ્લોઝ સહિતની સોસાયટીઓનો મુખ્ય રસ્તો ખોદી નાખતા રહીશો લાલઘૂમ
રસ્તા પર બેસી મહિલાઓએ રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો; ચારથી વધુ સોસાયટીના રહીશો હાલાકી ભોગવી રહ્યા હોવાનો આક્ષેપ
પાલનપુર: શહેરના ડેરી રોડ વિસ્તારમાં રસ્તાની કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આનંદ બંગ્લોઝ સહિત ચારથી વધુ સોસાયટીઓને જોડતા મુખ્ય રસ્તાને ખોદી નાખવામાં આવતા અવરજવરનો પ્રશ્ન સર્જાયો હોવાના આક્ષેપ સાથે રહીશોએ રસ્તા પર બેસીને ચક્કાજામ કર્યો હતો.
રસ્તો ખોદી નાખવામાં આવતા સ્થાનિક રહીશો, વાહનચાલકો તેમજ ખાસ કરીને મહિલાઓ અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો હતો. લાંબા સમયથી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોવાના પગલે રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
વિરોધ દરમિયાન મહિલાઓ રસ્તા પર બેસી રામધૂન બોલાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. રહીશોએ તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાની કામગીરી પૂર્ણ કરી માર્ગને વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવાની માંગ કરી હતી.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડેરી રોડની આસપાસ આવેલી ચારથી વધુ સોસાયટીઓના રહીશો માટે આ મુખ્ય માર્ગ મહત્વનો છે. રસ્તો ખોદી નાખવામાં આવતા રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલી ઊભી થઈ છે. ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સ સહિતના વાહનોની અવરજવર અંગે પણ રહીશોએ ચિંતા વ્યક્ત કરી હતી.
રહીશોએ તંત્રને રજૂઆત કરી હતી કે, વિકાસના કામ સામે કોઈ વિરોધ નથી, પરંતુ કામગીરી દરમિયાન વૈકલ્પિક માર્ગ અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેમજ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે, જેથી સ્થાનિક લોકોને વધુ હાલાકી ન ભોગવવી પડે.
ચક્કાજામના પગલે સ્થળ પર વાતાવરણ ગરમાયું હતું અને તંત્ર દ્વારા રહીશોની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
