🚨 નવસારીમાં પત્રકાર રૂ. ૫૧,૦૦૦ની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયો
સરકાર માન્ય કામોમાં ભ્રષ્ટાચારના સમાચાર ન છાપવા અને “સાચવી લેવા”ના બહાને લાંચ માંગ્યાનો આક્ષેપ


નવસારી: એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)ની સફળ ટ્રેપ કાર્યવાહીમાં રૂદ્ર સંદેશ પ્રેસ, નવસારીના પત્રકાર સતશંકર રામચરિત્ર મિશ્રા ઉર્ફે મુન્નાભાઈને રૂપિયા ૫૧,૦૦૦ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હોવાનું એ.સી.બી. દ્વારા જણાવાયું છે.
એ.સી.બી.ની માહિતી મુજબ, આ કેસના ફરિયાદી એક જાગૃત નાગરિક છે. આરોપી પત્રકાર દ્વારા ફરિયાદી પાસે સરકાર તરફથી મંજૂર થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો સાથે સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હતા તેમજ સંબંધિત કામોના રેકોર્ડ તપાસવા માટે આર.ટી.આઈ. એક્ટ હેઠળ અરજી પણ કરવામાં આવી હતી.
ફરિયાદ મુજબ, ફરિયાદી વિરુદ્ધ વધુ સમાચાર ન છાપવા અને મામલો “સાચવી લેવા”ના અવેજમાં આરોપીએ રૂપિયા ૫૧,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદીએ એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર સંપર્ક કરી નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે એ.સી.બી. દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા ૫૧,૦૦૦ની લાંચની માંગણી કરી તે રકમ સ્વીકારતા સ્થળ પર જ એ.સી.બી.ની ટીમ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા. એ.સી.બી.ના જણાવ્યા મુજબ, લાંચની રૂપિયા ૫૧,૦૦૦ની સંપૂર્ણ રકમ રિકવર કરવામાં આવી છે.
આ ટ્રેપની કાર્યવાહી સરોવર કાઠીયાવાડી હોટેલ, ગ્રીડ ચાર રસ્તા, નવસારી ખાતે કરવામાં આવી હતી. આ અંગેનો ગુનો તા. ૨૪/૦૮/૨૦૨૬ના રોજ નોંધવામાં આવ્યો હતો.
આ સફળ ટ્રેપ કામગીરી શ્રી એન.બી. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, નવસારી એ.સી.બી. પોલીસ સ્ટેશન, નવસારી તથા એ.સી.બી. સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી.
📞 ભ્રષ્ટાચાર સામે ફરિયાદ માટે એ.સી.બી.નો ટોલ ફ્રી નંબર: ૧૦૬૪
✍️ અહેવાલ : પવન એક્સપ્રેસ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
