ખરોડિયા નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત : ત્રણના મોત, પાંચ ઇજાગ્રસ્ત
પાલનપુર, તા. 29 જુલાઈ: પાલનપુર તાલુકાના ખરોડિયા ગામ નજીક આજે રાજ્ય પરિવહનની (એસટી) બસ અને રિક્ષા વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

પ્રાથમિક માહિતી મુજબ, વડગામ તરફથી આવી રહેલી રિક્ષા ખરોડિયા ગામ નજીક એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષાનો કચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.
અકસ્માતમાં મૃત્યુ પામનારના નામ
- લક્ષ્મણભાઈ વાલજીભાઈ પરમાર (ઉંમર 20), રહે. ગઠામણ
- ગલબીબેન બાબુભાઈ શ્રીમાળી (ઉંમર 62), રહે. કબીરપુરા
- કંકુબેન મફતલાલ શ્રીમાળી (ઉંમર 60), રહે. કબીરપુરા
પોલીસનું નિવેદન
આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઈ એચ. બી. ધાંધલિયાએ જણાવ્યું હતું કે, “ખરોડિયા નજીક એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માતમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની તપાસ હાલ ચાલુ છે.”
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
