જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આઇકોનિક સ્થળ નડાબેટ ખાતે પદયાત્રાનું આયોજન કરાયું
નડેશ્વરી માતાના મંદિરથી લઈને નડાબેટ સીમા દર્શન સુધી પદયાત્રાનું કરાયું આયોજન
વિકાસ ભારત સપ્તાહ – ૨૦૨૪ :- બનાસકાંઠા
વડાપ્રધાનશ્રી અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણીનું આયોજન રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કરાયું છે.
જિલ્લાના સુઈગામ તાલુકાના આઇકોનિક સ્થળ નડાબેટ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિકાસ પદયાત્રા નડેશ્વરી માતાજીના મંદિરથી શરૂ કરીને નડાબેટ સીમા દર્શન સુધી યોજાઈ હતી.જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્ય સહીત કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી થયેલા વિકાસ કાર્યોથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે વિકાસ પદયાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો સ્વયંભૂ જોડાયા હતા.વિકાસ પદયાત્રામાં સહભાગી થયેલ તમામ લોકો દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને બી.એસ.એફ જવાનો દ્વારા કરવામાં આવતી પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ પદયાત્રા કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડાશ્રી અક્ષયરાજ મકવાણા, બી.એસ.એફ કમાન્ડરશ્રી હિમાંશુ શર્મા, સુઈગામ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રી, બી.એસ.એફ જવાનો, જિલ્લાના આગેવાનો, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં નાગરીકો જોડાયા હતા.
***
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply