નારાયણી બી.એડ કોલેજના પૂર્વ ટ્રસ્ટીએ જેલમાંથી વર્તમાન પ્રમુખના ખૂન માટે 2BHK ફ્લેટ, રૂ. 30 લાખની સોપારી આપી
પાલનપુર સબજેલમાં બંધ પૂર્વ ટ્રસ્ટીએ નારાયણી બી.એડ કોલેજના વર્તમાન પ્રમુખની હત્યા માટે રૂ.30 લાખ અને 2 BHK ફ્લેટની સોપારી આપી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આરોપીની પત્નીએ રૂ.1 લાખ એડવાન્સ આપ્યા બાદ સાથી કેદીએ જ સમગ્ર કાવતરાનો ભાંડો ફોડતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
પાલનપુરમાં નારાયણી બી.એડ કોલેજના અગાઉના ટ્રસ્ટી ભરતભાઈ બાન્ટયાએ અગાઉ નોંધાયેલી ઉચાપતની ફરિયાદનો બદલો લેવા સબજેલમાંથી જ વર્તમાન પ્રમુખ રમેશ પટેલની હત્યાનું કાવતરું રચ્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ભરતભાઈએ જેલના સાથી કેદી કિરણ ઠાકોરને ખૂન કરવાના બદલામા રૂ.30 લાખ રોકડા અને અમદાવાદમાં 2BHK ફ્લેટ આપવાની લાલચ આપી હતી.
જેલમાંથી છૂટ્યા બાદ ભરતભાઈની પત્ની પુષ્પાબેન અને ભત્રીજાએ કિરણને રૂ.1 લાખ એડવાન્સ સાથે રમેશભાઈની રેકી માટે નામ, સરનામું, મોબાઈલ નંબર અને ફેસબુક વિગતો ધરાવતી ચિઠ્ઠી સોંપી હતી. બાદમાં કામમાં વિલંબ થતાં આરોપીઓએ કિરણ પર દબાણ પણ કર્યું હતું.
જોકે કિરણે ગુનો આચરવાને બદલે 15 જૂને સ્વસ્તિક સ્કૂલ ખાતે રમેશભાઈને સમગ્ર કાવતરાની જાણ કરી વોટ્સએપ ચેટ અને અન્ય વિગતો બતાવી દીધી હતી. પોતાના જીવને જોખમ જણાતા રમેશભાઈએ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
સાથી કેદી કિરણે જ કાવતરાનો પર્દાફાશ કર્યો આરોપીઓએ જેને શાર્પ શૂટર સમજીને સોપારી આપી હતી તે કિરણ ઠાકોરે ગુનાનો રસ્તો અપનાવવાને બદલે રમેશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. 15 જૂને સવારે તે પાલનપુર-આબુ હાઈવે પરની સ્વસ્તિક સ્કૂલની ઓફિસે પહોંચ્યો અને ભરતભાઈ બાન્ટયા, તેમની પત્ની તથા ભત્રીજા સાથે થયેલી વાતચીત, સોપારીના પૈસા, રેકીની ચિઠ્ઠી અને વોટ્સએપ ચેટ બતાવી સમગ્ર હત્યાના કાવતરાનો ભાંડો ફોડી દીધો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
