પાટણમાં પ્રજાપતિ છાત્રાલયના નવીન ભવનનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો
300 કુમાર અને 100 કન્યાઓ માટે અદ્યતન સુવિધા સજ્જ છાત્રાલય બનશે
પાટણ ડીસા હાઇવે માર્ગ ઉપર આવેલ પ્રજાપતિ છાત્રાલયના નવીન ભવનનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.સમાજના દાતાઓએ ખુલ્લા હાથે દાન કર્યું હતું.કાર્યક્રમમાં સંતો મહંતો તેમજ સમાજ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

પાટણ ખાતે ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયના નૂતન ભવનનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ અદ્યતન પાંચ માળનું ભવન આશરે ₹15 કરોડના ખર્ચે તૈયાર થશે. તેમાં 300 કુમારો અને 100 કન્યાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ નાતગંગાના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજો આવેલી હોવાથી રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના પ્રજાપતિ સમાજના વિદ્યાર્થીઓના ધસારાને પહોંચી વળવા સંસ્થા દ્વારા આ નવા છાત્રાલયનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને વાલીઓની લાંબા સમયની માગણી સંતોષવા માટે આ પ્રોજેક્ટમાં કન્યાઓ માટે અલગ નિવાસ વ્યવસ્થાનો સમાવેશ કરાયો છે.આ શિલાન્યાસ વિધિ સતાધાર ધામના મહંત વિજયબાપુની નિશ્રામાં અને ભૂમિદાતા પરિવારના નરેન્દ્રકુમાર રામચંદ્રભાઈ પ્રજાપતિ તથા યોગેશકુમાર હિંમતલાલ પ્રજાપતિના વરદ્ હસ્તે સંપન્ન થઈ હતી.કુમાર અને કન્યા છાત્રાલય તેમજ પ્રવેશદ્વાર માટે ઉછામણી બોલાઈ હતી.જેમાં કન્યા છાત્રાલય માટે 85,11,111ની બોલી દયાગૌરીબેન પુનમચંદ પ્રજાપતિને લગાવી હતી.જ્યારે કુમાર છાત્રાલય માટે ભરતભાઇ પ્રજાપતિ સારથી ઓટો શો-રૂમના માલિકે 51 લાખની બોલી લગાવી હતી.મુખ્ય પ્રવેશદ્વાર માટે ગંગારામભાઈ પ્રજાપતિએ 36 લાખની બોલી લગાવી હતી.આ ઉપરાંત વિવિધ રૂમના અને અન્ય દાતાશ્રીઓ પણ નોંધાયા હતા.
કાર્યક્રમમાં મોતીભાઈ . પ્રજાપતિ,નવનીતભાઈ કોન્ટ્રાક્ટર અને અમેરિકાથી પધારેલા પુનમચંદભાઈ પ્રજાપતિ,અતિથિ વિશેષ તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કે.સી. પોરિયા, નિવૃત્ત રજિસ્ટ્રાર મણિભાઈ પ્રજાપતિ, ઉત્તર ઝોન પ્રજાપતિ સમાજના પ્રમુખ મનહરભાઈ પ્રજાપતિ,રાજ્યસભાના પૂર્વ સાંસદ દીનેશભાઈ અનાવાડીયા,પૂર્વ પ્રમુખ ગંગારામભાઈ પ્રજાપતિ, અમૃતભાઈ કંબોયા અને રાધનપુર છાત્રાલયના સ્થાપક પ્રમુખ મનજીભાઈ પ્રજાપતિ, સંસ્થાના પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિ અને મંત્રી રઘુભાઈ પ્રજાપતિ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
