ત્રણ પેઢીઓનું પવિત્ર મિલન: સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં ‘માતૃ પિતૃ વંદન’ થી ભાવવિભોર ક્ષણો સર્જાઈ.

અહેવાલ: ભિખાલાલ પ્રજપતિ.
પાલનપુર સ્થિત શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે કાર્યરત શ્રીમતી એસ.સી. સાળવી અને શ્રીમતી એમ.એસ. સાળવી પ્રાથમિક શાળાએ “માતૃ પિતૃ વંદન સમારોહ”નું ભાવભીનુ આયોજન કર્યું હતું. આધુનિક યુગના વિદ્યાર્થીઓમાં માતા-પિતા પ્રત્યે આદર અને સંસ્કારના બીજ રોપાય તેવા શુભ આશય સાથે યોજાયેલ આ સમારોહ ત્રણ પેઢીઓના અદભૂત મિલનનો સાક્ષી બન્યો હતો.
મહંત ચીનું ભારથી મહારાજની પવિત્ર ઉપસ્થિતિએ કાર્યક્રમને આધ્યાત્મિક સ્પર્શ આપ્યો હતો. શાળાના કલા શિક્ષક નયન ચત્રારિયા દ્વારા માતા-પિતાના ત્યાગ અને પ્રેમ પર રજૂ કરાયેલ હૃદયસ્પર્શી સંવાદોએ હાજર સૌને ભાવવિભોર કરી દીધા હતા જેથી ઉપસ્થિત અનેક આંખોમાંથી અશ્રુધારાઓ વહેતી નજરે પડી હતી.
વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતા તથા દાદા-દાદીને કુમકુમ તિલક કરી, ચરણ પખાળી વંદન વિધિ અર્પી અનોખી સંસ્કારસભર પરંપરા જીવંત કરી હતી. આશીર્વાદની આ પવિત્ર પળોમાં માતા-પિતાએ સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી. સ્વસ્તિક પરિવાર તરફથી તમામ વાલીઓને સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મહેસાણા પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી ડો. શરદભાઈ ત્રિવેદી, મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ, મંત્રી જયંતિભાઈ ઘોડા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ગામી સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત, મહેશભાઈ પટેલ, ઉપાચાર્ય રંજનબેન પટેલ તથા સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો સાથે આ સમારોહે સંસ્કાર, શ્રદ્ધા અને લાગણીઓનો અનોખો સમન્વય પણ જોવા મળ્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
