બનાસકાંઠા જિલ્લામાં વીજ પુરવઠાની પુનઃસ્થાપના કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ
જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં વીજ પુરવઠો પુર્વવત્ પુનઃસ્થાપિત કરાયો
જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે UGVCL ની ટીમના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા
પડકારજનક પરિસ્થિતિમાં જે.સી.બી, મોટી ક્રેન અને નાવડાની મદદથી કામ કરાયું: અધિક્ષક ઇજનેર શ્રી વી.બી.બોડાત
બનાસકાંઠા જિલ્લામાં થયેલા અતિભારે વરસાદને કારણે સરહદી વિસ્તારોમાં આવેલા અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ યુટિલિટી વિભાગની UGVCL ટીમ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અવિરત રાત-દિવસના પરિશ્રમ બાદ જિલ્લાના અસરગ્રસ્ત 294 ગામોમાં આજે વીજ પુરવઠો પુર્વવત્ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. હાલ માત્ર 3 ગામોમાં જ કાર્ય પ્રગતિ પથ પર છે, જ્યાં ઝડપથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે UGVCL ના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરાયેલા અવિરત પરિશ્રમને અભિનંદન પાઠવ્યા છે તથા વરસાદી આફત વચ્ચે લોકો સુધી ઝડપથી સુવિધાઓ પહોંચાડવા માટેના સંકલ્પને બિરદાવ્યો છે.
અધિક્ષક ઇજનેર શ્રી વી.બી.બોડાતે જણાવ્યું કે સરહદી વિસ્તારમાં ૨૯૭ ગામોમાં વીજ પૂરવઠો પૂર્વવત કરાયો છે. ત્રણ ગામો કે જ્યાં પાણી ભરાયેલ છે ત્યાં સત્વરે કામ પૂર્ણ કરવામાં આવશે. નડાબેટ ઝીરો બોર્ડર સુધી વીજ પુરવઠાની કનેક્ટિવિટી ચાલુ કરી દેવાઈ છે. ૨૫ BOP ખાતે વીજ પૂરવઠો પૂર્વવત કરાયો છે. ૩ BOP જે વોટર લોંગિંગ છે ત્યાં ઝડપથી વીજ પૂરવઠો શરૂ કરવામાં આવશે.
અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ ૧૮૬૩ વીજ પોલ તૂટી પડ્યા હતા. જેમાંથી ૬૦૦ જેટલા વીજ પોલ ઊભા કરી કરી દેવાયા છે. ૧૨૬૩ વીજ પોલ બાકી છે એમાં વોટર લોગીંગ સિવાયના વીજપોલ આજ સાંજ સુધીમાં ઊભા કરી દેવામાં આવશે.
આ કામગીરીમાં વિભાગની ૧૦૭ ટીમો (એક ટીમમાં પાંચ મેન પાવર) જેમાં ૫૩૫ માણસો અને કોન્ટ્રાકટરની ૩૫ ટીમો ( એક ટીમમાં ૧૨ મેન પાવર) જેમાં ૪૨૦ માણસો જોડાયેલા છે. પડકારજનક પરિસ્થિતિમાં જે.સી.બી, મોટી ક્રેન અને નાવડાની મદદથી કામ કરવામાં આવ્યું છે.
આ પુનઃસ્થાપના કાર્યમાં જિલ્લા વહીવટીતંત્ર, વીજ વિભાગ તેમજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ વચ્ચેના અસરકારક સહયોગને કારણે તાત્કાલિક સમયમાં કાર્ય પૂર્ણ થવામાં સફળતા મળી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
