પવન એક્સપ્રેસના સમાચારની અસર : માનસરોવર રોડ પર તૂટેલી પાણીની પાઈપોના ૬ પંચર તાત્કાલિક રીપેર
પાલનપુર: પાલનપુર શહેરના વોર્ડ નં. ૨ વિસ્તારમાં આવેલ માનસરોવર રોડ (ડી.પી.થી વિજયચોક સુધી) છેલ્લા ઘણા સમયથી રોડ ખોદકામના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યો હતો. રોડ ખોદવાની કામગીરી દરમિયાન પીવાના પાણીની પાઈપલાઈન અનેક સ્થળે તૂટી જતાં રસ્તા પર સતત પાણી વહી રહ્યું હતું. વરસાદ ન હોવા છતાં રસ્તા પર પાણી ભરાઈ રહેતાં કાદવ, ગંદકી અને અકસ્માતનો ભય સર્જાયો હતો.
આ માર્ગ પર આવેલા હનુમાનજી મંદિર આગળ પણ મોટા ખાડા પડી ગયા હોવાથી મંદિર દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. નગરપાલિકાની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અનેક લોકોએ તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.
આ ગંભીર સમસ્યાને પવન એક્સપ્રેસ દ્વારા જવાબદારીપૂર્વક પ્રકાશિત કરવામાં આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું. સમાચાર પ્રસિદ્ધ થયા બાદ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી અને તૂટેલી પાણીની લાઇનના કુલ ૬ પંચરનું રીપેરિંગ કરવામાં આવ્યું.
જોકે નોંધનીય બાબત એ છે કે આ રીપેરિંગ કામગીરી પાલનપુર નગરપાલિકા દ્વારા નહીં પરંતુ સંબંધિત પ્રાઇવેટ કંપની દ્વારા કરવામાં આવી હતી. જેના કારણે સ્થાનિકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે કે રોડ ખોદકામ બાદ થયેલા નુકસાનની જવાબદારી કોણની અને નગરપાલિકા દ્વારા યોગ્ય દેખરેખ કેમ રાખવામાં આવી નહોતી?
સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે પાણીનો સતત બગાડ થવા ઉપરાંત રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી હતી. હવે પાણીની પાઈપોનું રીપેરિંગ થતાં લોકોને આંશિક રાહત મળી છે. જોકે રોડ પર પડેલા મોટા ખાડા અને ખોદકામ બાદ રસ્તાનું યોગ્ય સમારકામ હજુ બાકી હોવાથી લોકો તાત્કાલિક રસ્તો સમતળ બનાવી સલામત અવરજવર સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે.
સ્થાનિક નાગરિકોએ જણાવ્યું કે જનહિતના પ્રશ્નોને પ્રાધાન્ય આપી જવાબદાર પત્રકારત્વ નિભાવતા પવન એક્સપ્રેસ દ્વારા મુદ્દો ઉઠાવવામાં આવતા સમસ્યાના નિરાકરણની શરૂઆત થઈ છે. હવે નગરપાલિકા દ્વારા બાકી રહેલા રોડના સમારકામ સહિત અન્ય સમસ્યાઓનું પણ ઝડપથી નિરાકરણ લાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
