નવરાત્રી મહોત્સવને લઈને બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
ગરબા આયોજકોને સુરક્ષા-સુચનાઓ સાથે નવરાત્રી સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય તે જરૂરી
ગરબા કાર્યક્રમોમાં સીસીટીવી, સુરક્ષા સ્ટાફ અને ઈમરજન્સી ગેટ ફરજિયાત
બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી મિહિર પટેલ દ્વારા આવનારા નવરાત્રી મહોત્સવને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમો હેઠળ બહાર પાડવામાં આવેલ આ જાહેરનામાં મુજબ નવરાત્રી મહોત્સવનું આયોજન સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય તે માટે આયોજકોને કડક સુચનાઓ આપવામાં આવી છે.
ગરબાના કાર્યક્રમો જાહેર જનતાને અડચણરૂપ ન બને તે માટે કોમન પ્લોટ કે જાહેર ઉપયોગી જગ્યાઓ પસંદ કરવાની રહેશે. પ્રવેશ-નિકાસ માટે અલગ ગેટ, પુરુષ-મહિલા માટે અલગ પ્રવેશદ્વાર, સીસીટીવી કેમેરા, સિક્યુરીટી સ્ટાફ, મેટલ ડિટેક્ટર, મહિલા સુરક્ષા કર્મચારી તેમજ ઈમરજન્સી ગેટ રાખવાના રહેશે. નશાની હાલતમાં આવેલ વ્યક્તિને પ્રવેશ આપવાનો નહીં અને શંકાસ્પદ જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની રહેશે.
ટિકિટો/પાસની ક્ષમતા કરતા વધુ વિતરણ ન કરવા, પાર્કિંગ વ્યવસ્થા સુચારુ રાખવા, વીજળી અને અગ્નિશામક સાધનોની સુવિધા ગોઠવવા તથા સ્ટેજની મજબૂતી અંગે PWDનું પ્રમાણપત્ર મેળવવાની રહેશે. રાત્રે ૧૨:૦૦ કલાક બાદ સાઉન્ડ સિસ્ટમ વગાડવાની નહીં અને હોસ્પિટલ-શૈક્ષણિક સંસ્થા નજીક અવાજ પ્રસારણ પર પ્રતિબંધ રહેશે.
આયોજકોને રાજકીય કે ધાર્મિક ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ન કરવા, ગેરરીતિ કે અશ્લીલતા ટાળવાની તથા તમામ સુરક્ષા પગલાં સાથે એમ્બ્યુલન્સ-મેડિકલ સુવિધાની વ્યવસ્થા કરવાની ફરજિયાત રહેશે. આ જાહેરનામું બનાસકાંઠા જિલ્લામાં તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા. ૦૨/૧૦/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જાહેરનામાંનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
